વલસાડમાં અગાઉ પણ એક વિદ્યાર્થી હોસ્ટેલ વાતાવરણથી કંટાળી અગાસી પર છુપાઇ ગયો હતો : ઉંડાણ પૂર્વક તપાસ
વલસાડમાં બીએપીએસ સંચાલિત સ્વામિનારાયણ સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતો ધો.૧૧ના આદિવાસી વિદ્યાર્થી હોસ્ટેલના વાતાવરણથી અકળાઇને ભાગવા ગયો અને કરંટ લાગતાં મોતને ભેંટયો હોવાની ગંભીર ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે હજુ સુધી કોઇ ખાસ તપાસ કરી નથી કે કોઇના નિવેદન પણ લીધા નથી.
કપરાડાના નાનાપોંઢા ગામના વિદ્યાર્થી જયદીપ અરવિંદભાઇ ગાવીત (ઉ.વ.૧૬)એ વલસાડની બીએપીએસ સંચાલિત સ્વામિનારાયણ સ્કૂલમાં એડમિશન લઇ ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો. પણ હોસ્ટેલનું વાતાવરણ તેને જરા પણ ગમ્યું ન હતું. જેથી તેના પિતા અરવિંદભાઇને લેવા બોલાવ્યા હતા.
તા. ૧૭મીને રવિવારે અરવિંદભાઇ તેને લેવા સ્વામિનારાયણ સ્કૂલની હોસ્ટેલ પર પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકોએ રવિવારે કોઇ પણ વાલીને મળવા દેવાતા ન હોવાની વાત કહી મળવાની ના પાડી હતી. અરવિંદભાઇએ ખુબ આજીજી કરી પરંતુ સંચાલકો ટસના મસ થયા ન હતા અને જયદીપે ત્યાંથી ભાગવાનો નિર્ણય કર્યો અને અકસ્માતે તેને કરંટ લાગતા મોતને ભેંટયો હતો.
સામાન્ય રીતે રવિવાર રજાનો દિવસ હોય એટલે રવિવારે તો માતા-પિતાને મળવાનો દિવસ હોવો જોઇએ, પરંતુ આ હોસ્ટેલમાં કયા કારણોસર રવિવારે મળવા ન દેવાનો નિર્ણય કરાયો તે સમજાતું નથી. જો હોસ્ટેલે નિયમ બનાવ્યો પણ હોય, તેમ છતાં ખાસ કેસમાં તેમણે વાલીને મળવા દેવા જોઇએ.
હજુ તો સ્કૂલ શરુ થઇ હતી. કોઇ પરિક્ષા ન હતી, તેમ છતાં જડ વલણ ધરાવતાં હોસ્ટેલ સંચાલકોએ વાલીને મળવાનો નન્નો ભણી દીધો હતો. અગાઉ પણ સ્વામિનારાયણ સ્કૂલનો એક વિદ્યાર્થી ભાગી ગયો હતો. જે સ્કૂલ બહાર ભાગી ગયો હોવાની વાર્તા થઇ હતી, પરંતુ વિદ્યાર્થી હોસ્ટેલની ટેરેસ પરથી જ મળી આવ્યો હતો.
હોસ્ટેલમાં કુમળા મનના વિદ્યાર્થીઓ કયા સંજોગોમાં આવા પગલાં ભરી રહ્યા છે તે પોલીસ તપાસમાં જ ખુલી શકે છે, પરંતુ વલસાડ સિટી પોલીસે આ મામલે હજુ સુધી કોઇના પણ નિવેદનો લીધા નથી. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા આ આદિવાસી વિદ્યાર્થીના મોતની યોગ્ય તપાસ થાય એ જરુરી બન્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"