સરકાર ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને પાણી આપે છે : કૈયુમ મેમણ
31 જૂન સુધી ખેડૂતોને પાણી આપવા માંગ સાથે ઉગ્ર આંદોલનની આદિવાસી ખેડૂતોની ચીમકી
રાજપીપલા : નર્મદાની માઇનોર કેનાલોમાં પાણી બંધ કરાતા ગરુડેશ્વર તાલુકાના ઉંડવા સહીતના ગામોના ખેડૂતો શુક્રવારે જળ આંદોલન પર ઉતરી આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોનું જળ આંદોલન નિષ્ફળ બનાવી લગભગ 30 જેટલા આંદોલનકારી ખેડૂતોની નર્મદા પોલીસે અટકાયત કરી હતી. જેથી ખેડૂતો રોષે ભરાયા છે અને 31 જૂન સુધી જો સરકાર પાણી નહિ આપે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સરકારે 16 માર્ચથી નર્મદા કેનાલમાથી ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરવાના નિર્ણય સામે ખેડુતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે તેના પ્રત્યાઘાતના ભાગરૂપે શુક્રવારે નર્મદા ડેમની નજીક આવેલા ઉંડવા ગામની મુખ્ય કેનાલ પાસે ભીલીસ્તાન લાયન સેના, જનતા દળ અને અન્ય ખેડુતો જળ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. અને આ આંદોલનમાં ૨ થી ૩ હજાર ખેડુતો પણ જોડાવાનાં હતા. પરંતુ આ બાબતની સરકારને જાણ થતા ખડૂતોને આંદોલનને માર્ગે વળતા પહેલા વીખેરી નાંખવા સવારથી ઉંડાવા મુખ્ય કેનાલ અને આજુબાજુના વિસ્તારોમાં પોલીસ બંધોબસ્ત ગોઠવાઈ ગયો હતો. છતાં કેટલાક ખેડૂતો નિયત સમયે નર્મદાની મુખ્ય કેનાલ પર આવી પહોંચ્યા હતા. જો કે ખેડૂતોનો આક્ષેપ છે કે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનોને આ આંદોલનમાં જોડાતા પોલીસે આટકાવ્યાં છે અને નજર કેદ પણ કર્યા છે. છતાં 30 જેટલા ખેડૂતો અને આગેવાનોએ કેનાલનાં ઝીરો પોઇન્ટ તરફ માર્ચ શરૂ કરતા મોટી સંખ્યામાં હાજર નર્મદા પોલીસ અને એસઆરપી જવાનોએ તેઓને રોકીને તમામની અટકાયત કરી હતી. અને આમ આ જળ આંદોલનને નિષ્ફળ બનાવ્યું હતું.
આ મામલે ભીલીસ્તાન લાયન સેનાના શાહિદ મન્સુરીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને આપવાનું પાણી સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગ પતિઓને આપે છે. ખેડૂતોની જમીનો ગઈ છે અને તેમને જ પાણી નથી એ કેટલે અંશે વ્યાજબી કહેવાય. પરંતુ સરકાર ક્યાં સમજે છે સરકાર ખેડૂતોની કમર તોડી નાખી છે અને હવે આત્મહત્યા કરવા મજબૂર કરી દીધા છે. અમે ઉગ્ર આંદોલન કરીશું.
જ્યારે જેડીયુના આગેવાન કૈયુમ મેમણે જણાવ્યું હતું કે ઊડવા ગામથી અમે આંદોલન શરૂ કર્યું ત્યારે પોલીસે અમારા આંદોલનમાં ખલેલ પહોંચાડી છે. પોલીસે અમારો આવાજ દબાવવાની કોશિશ કરી છે. આજે ખેડૂતો બિચારા બોલી નથી શકતા અમે જેમના હક્ક માટે આંદોલન કરીયે છે ત્યારે લોકશાહી દેશમાં સરકાર વિરુદ્ધ બોલવું ગુનો બને છે. એમ પોલીસ અમને પકડવા મોટી ફોર્સ લઇને આવી ગઈ. નર્મદા કેનાલની બાજુમાં જ રહેતા ખેડૂતોને પાણી મળતું નથી જેને કારણે આંદોલન કરવામાં આવ્યું છે એમાં શુ ખોટું છે.
કેવડીયા ડીવાયએસપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પહેલેથી જાહેરાત કરી હતી કે નર્મદા બંધમાં પાણી ઓછું હોવાથી 15 માર્ચ સુધી પાણી આપવામાં આવશે. છતાં ખેડૂતોએ આંદોલન કર્યું છે. પોલીસ લો; ઓર્ડર પર કામ કરે છે. આંદોલન દરમિયાન કોઈ પણ ખેડૂત પોતાને કે સરકારી મિલકતને નુકસાન ના પહોંચાડે એ અમારે જોવાનું હોય છે. હાલ અમે આગેવાનોને ડિટેન કર્યા છે. કોઈ ખેડૂતોને આવતા અટકાવ્યા નથી કે નજર કેદ કરાયા નથી.
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"