ન્યાય તંત્રમાં અમે કયારેય હસ્તક્ષેપ નહિ કરીએ,રાહુલનું નેતૃત્વ મંજૂર નથી
કોલકાત્તા,તા.૨૫
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ લાવવાના મુદ્દે કોંગ્રેસ હવે જાણે એકલી પડી રહી હોય તેમ લાગે છે. આ મામલે પહેલાંથી જ આંતરિક સ્તરે વિરોધનો સામનો કરી રહેલી કોંગ્રેસના નિર્ણયને હવે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીએ પણ ખોટો ગણાવ્યો છે અને જણાવ્યું છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનું નેતૃત્વ અમને સ્વીકાર્ય નથી અને તેથી હવે અમે ફેડરલ ફ્રન્ટ બનાવીશું.
આ અંગે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ માટે આપેલી નોટિસનું સમર્થન નહોતું આપ્યું. કોંગ્રેસ દ્વારા મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગની નોટિસ આપવી અયોગ્ય છે. આ મુદ્દે કોંગ્રેસ અમારું સમર્થન ઈચ્છતી હતી, પરંતુ અમે તેના માટે તૈયાર નથી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું હતું કે આ દેશ કોઈની જાગીર નથી અને તેમાં માનતો પણ નથી.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ લાવવાના મુદ્દે તેમણે જણાવ્યું કે કોંગ્રેસની આ સૌથી મોટી ભૂલ છે. ન્યાયિક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાની વાત ખોટી છે. અદાલત ગમે ત્યારે તમારી તરફેણ અથવા વિરુદ્ધમાં ચુકાદો આપી શકે છે અને તેથી તેનો અર્થ એ નથી કે તમે ન્યાયિક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવા લાગો. તેમણે જણાવ્યું કે અમે આ બાબતે રાહુલ ગાંધીને પહેલાંથી જ ચેતવી દીધા હતા. અમારી પાર્ટી ન્યાયપાલિકામાં દરમિયાનગીરી કરવા માગતી નથી. નોટિસ અંગે વિપક્ષના ૬૪ સાંસદે હસ્તાક્ષર કર્યા હતા.
મમતા બેનરજીએ કહ્યુ હતું કે મેં સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને મહાભિયોગની નોટિસ ન આપવા જણાવ્યું હતું. કોંગ્રેસ ન્યાયપાલિકામાં હસ્તક્ષેપ નથી ઈચ્છતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"