ન્યુ દિલ્હી,તા.૪
નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ પૂરું થયા બાદ રાજ્યના કોમર્શિય ટેક્સ ડિપાર્ટમેન્ટે બાકી રિફંડના પેન્ડિગ્ કામકાજ ઝડપથી હાથ ધર્યાં છે. ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જે વેપારીએ રિફંડ માટે અરજી કરી હોય, પરંતુ તેઓને રિફંડ મળી શક્યું ન હોય તેવા વેપારીઓના ડોક્યુમેન્ટ્સના ક્રોસ વેરિફિકેશન માટે વિભાગની કચેરીએ આવવાની તાકીદ કરાઇ છે.
ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જીએસટીમાં રિફંડ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે, પરંતુ અરજીની હાર્ડ કોપી તથા કરેલ દાવાના આનુષાંગિક પુરાવા ડિપાર્ટમેન્ટમાં જે તે ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂ કરવાના થતા હોય છે તથા તેઓએ કરેલી રિફંડ અરજી તથા આનુષાંગિક પુરાવાનું ક્રોસ વેરિફિકેશન થયા બાદ જ રિફંડ ઓર્ડર પાસ થતા હોય છે અને આ વેપારીનું રિફંડનું ચુકવણું ઓનલાઇન થતું હોય છે.
ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રિફંડ માટે જે વેપારીઓએ ઓનલાઇન અરજી કરી ના હોય તે વેપારીઓ મેન્યુઅલી અરજી પણ કરી શકે છે. તાત્કાલિક આરએફડી-૦૧ની નકલ અને આનુષાંગિક પુરાવા સાથે નાયબ કમિશનરશ્રીને રજૂ કરવાના થાય છે. કમિશનર આનુષાંગિક દસ્તાવેજાનું વેરિફિકેશન થયા બાદ રિફંડ ઓર્ડરનું ચુકવણું કરે છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ પૂરું થયા પૂર્વે રિફંડ ઓર્ડર વેપારીને સરળતાથી મળે તે માટે ઝડપી કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે અંતર્ગત અમદાવાદ ડિવિઝનમાં વેપારીને જીએસટી કાયદા અંતર્ગત રૂ.૧૮૦ કરોડથી પણ વધુના રિફંડ ઓર્ડરનું ચુકવણું કરવામાં આવ્યું છે તથા વેટ કાયદા અંતર્ગત ૧૭૯ કરોડના રિફંડ ઓર્ડર પાસ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં અમદાવાદ ડિવિઝન-૧એ ૧૮૮.૨૩ કરોડના રિફંડ ઓર્ડર કર્યા હતા. દરમિયાન બાકી વસૂલાતની કામગીરી પણ ઝડપથી હાથ ધરી છે. અમદાવાદ ડિવિઝન-૧એ અગાઉની બાકી વસૂલાત રૂ. ૫૬૩.૨૫ કરોડ વસૂલ્યા છે તથા ચિમકી ઉચ્ચારી છે કે કસૂરદારો રકમ ભરવાનું ચૂકશે તો બેન્ક એટેચમેન્ટ, સ્ટોક એટેચમેન્ટ તથા હરાજી સુધીની કડક કાર્યવાહી કરાશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"