અમદાવાદ,
તા.૧૦/૦૩/૨૦૧૮
ચાંદખેડામાં આઈઓસી રોડ પર આવેલા શ્યામ વિહાર બંગલોઝમાં રહેતા ૨૩ વર્ષીય યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવક સરકારી નોકરીની પરીક્ષાની તૈયારીઓ કરતો હતો. નોકરી ન મળવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ચાંદખેડા આઈઓસી રોડ પર આવેલા શ્યામ વિહાર બંગ્લોઝમાં નરેશભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે. બુધવારે રાતે પરિવારના સભ્યો ઘરે હાજર હતા. દરમ્યાનમાં ઉપરના માળે પૂજાના રૂમમાં તેમના ૨૩ વર્ષીય પુત્ર દર્શને ગળા ફાંસો ખાઈ લીધો હતો. દર્શનને તાત્કાલિક સારવાર માટે અપોલો હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને કરાતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી.
દર્શન સરકારી નોકરીની તૈયારીઓ કરતો હતો. અનેક પરીક્ષાઓ તેણે આપી હતી પરંતુ સફળતા ન મળતાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું તેના પરિવારજનો માની રહ્યા છે. ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આત્મહત્યાનું સાચું કારણ જાણવાની તજવીજ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"